ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે.
શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા હતા. નારદજી વીણા વગાડે ત્યારે સૌ દેવો નૃત્ય કરવા લાગી જતા.
સંગીતના રાગોમાં અદ્ભુત શક્તિ છે. તાનસેન ગવૈયા હતા. તેઓ જ્યારે દીપક રાગ ગાતા હતા ત્યારે દીવાઓ પોતાની મેળે ઝગમગી ઊઠતા. ભક્ત નરસિંહ મહેતા જ્યારે કેદાર રાગ આલાપતા ત્યારે તેને સાંભળવા સ્વયં શ્રી કૃષ્ણ હાજર થતા. કોઈ ભક્ત તેથી જ કહે છે કે,
‘સંગીત હૈ ઈશ્વર કી શક્તિ, હર સૂર મેં બસે હૈ રામ,
રાગી જો સુના રાગ, તો રોગી કો મિલે આરામ’
ગુજરાતમાં તાના અને રીરી નામની બે બહેનોએ અકબર બાદશાહના દરબારમાં મેઘ મલ્હાર ગાયો તેથી વરસાદ થયો! અને તાનસેનના હૃદયની આગ શીતળ બની. કૃષ્ણ દીવાની મીરાં તો ‘પગ ઘૂંઘરુ બાંધ મીરાં નાચી’ એમ કહીને લોક લાજ છોડીને શ્રીકૃષ્ણ સામે જ નૃત્ય કરે છે…!
આપણા મંદિરોમાં સવાર-સાંજ ભગવાનની આરતી થાય છે. આ આરતી ટાણે ઘંટ-નોબત-ઝાઝ પખાજ વગાડી ભક્તો ભગવાનને રિઝવે છે.
સામાન્ય રીતે પણ જ્યારે જ્યારે ભક્ત મંદિરમાં દર્શન કરવા આવે છે ત્યારે મંદિરમાં લટકતા ઘંટને જરૂર વગાડે છે. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ? આ પ્રશ્ન ઘણાને થાય છે.
દરેક મંદિરમાં ઘંટ શા માટે રખાતો હશે? અને ભાવિક ભક્તની ઘંટ વગાડવા પાછળની પ્રેરણા શી હશે? બાળકોને ભગવાનનાં દર્શન કરતાં વધુ રસ ઘંટ વગાડવામાં હોય છે. ‘બાળક આજે ઘંટ વગાડવા માટે મંદિરમાં આવે છે, તો મોટું થયા પછી દર્શન કરવા માટે પણ આવશે.’ એવું માનીને વડીલો આશ્વાસન લેતા હશે.
આજનો યુગ વિજ્ઞાનનો પણ છે. તેથી આવી ક્રિયાઓ પાછળનું ધર્મ અને વિજ્ઞાનનું કારણ જાણવાની ઈચ્છા થાય છે. કોઈ વસ્તુ અંગે જાણવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે.
‘ટન ટન ટન’ અવાજ ઘંટનો છે. શું આ અવાજ કરી આપણે ઈશ્વરને જગાવવા માગીએ છીએ?
પણ ભગવાન તો ક્યારે પણ ઊંઘતા નથી. ઘંટની ધ્વનિ કરી શું આપણે ભગવાનને આપણા આવવાની સૂચના દઈએ છીએ? પરંતુ ઈશ્વર તો અંતર્યામી છે. તે બધું જ જાણે છે. તો પછી મંદિરમાં જઈને ઘંટ વગાડવાનો કોઈ અર્થ ખરો?
આપણા શાસ્ત્રકારો આપણા આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, મંદિરમાં જઈને ઘંટ વગાડવાનો એ અર્થ છે કે ઘંટની ધ્વનિ શુભ છે. મંગલમય છે. આ ધ્વનિ જ્યારે હવામાં પ્રસરે છે અને ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે ત્યારે વાતાવરણ આધ્યાત્મિક આનંદથી છલકાય છે.
ઘરની પૂજામાં પણ નાનકડી ઘંટડી રાખીએ છીએ અને પૂજા સમયે તેને વગાડીએ છીએ.
આ નાની ઘંટડીથી પણ જે ધ્વનિ તરંગો નીકળે છે તે ઘર અને તેની આસપાસના વાતાવરણને અદ્ભુત આનંદથી ભરી દે છે. ઘંટ કે નાનકડી ઘંટડી જ્યાં વાગે છે ત્યાંના વાતાવરણમાં પવિત્રતા આવે છે.
અશુભ તત્તવો, અનિષ્ટ અને અસુરી તત્તવો આ ઘંટના નાદથી, ઘંટડીની ધ્વનિથી ભાગી જાય છે.
મંદિરમાં ઘંટ વાગે અને આરતી થાય ત્યારે મંદિરની આસપાસનો જે કોલાહલ થાય છે તે આ ઘંટારવમાં દબાઈ જાય છે અને ભક્તોનું ધ્યાન ઈશ્વરમાં સુપેરે લાગે છે.
એકાગ્રતા જળવાય છે. ભક્તિ અને ભગવાનનું તાદાત્મ્યપણું અખંડિત રહે છે.
વિજ્ઞાન કહે છે કે ઘંટ વગાડવાથી વાતાવરણમાં કંપન ઉત્પન્ન થાય છે. જેનાથી આજુબાજુના વાતાવરણમાં સ્થિત જીવાણુ નાશ પામે છે. જ્યાં સવાર-સાંજ મંદિરનો ઘંટ વગાડવામાં આવે છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ રહે છે.
મંદિરમાં જઈને ઘંટ વગાડવાનું કારણ આ શ્લોકમાં પણ બતાવ્યું છે.
આગમાર્થ તુ દેવાનાં ગમનાર્થ તુરાક્ષસામ્ |
કુર્વે ઘંટારવ એવં તત્ર દેવતાહવાનલક્ષણમ્ ||
જેનો અર્થ છે ‘હું દેવત્વના આહ્વાન માટે આ ઘંટ વગાડું છું.
જેથી નૈતિક અને મહાન શક્તિઓનો મારા ઘરમાં અને હૃદયમાં પ્રવેશ થાય અને મારા ભીતર અને બહાર આસુરી અને અશુભ શક્તિઓનો વિનાશ થાય.’
ઘંટમાં પણ નર-માદા એમ બે હોય છે. તે અષ્ટ ધાતુમાંથી બનાવેલો પણ હોય છે. નોબતની જેમ તેને ચઢાવવામાં આવે તો તેમાંથી પોતે જ ઘંટ ધ્વનિ વાગે છે. સૌથી પહેલાં આવા નર-માદા ઘંટનો પ્રયોગ પંદરમી સદીમાં રાજસ્થાનના રાણકપુરમાં થયો હતો. ઘંટનાદથી હકારાત્મકતા વધે છે. ગુજરાતમાં પાલીતાણામાં, મહારાષ્ટ્રના પુના શહેરમાં અને હવે અમદાવાદમાં નર-માદા ઘંટના પ્રયોગો થાય છે.
ઘંટ શ્રદ્ધાનું પ્રતીક છે. કચ્છમાં મા આશાપુરાના મંદિરમાં મુસલમાન બાદશાહ ગુલામશાહ ક્લોરાએ ચારસો કિલો વજનનો ઘંટ અર્પણ કર્યો છે! જે સર્વે ધર્મ સમભાવનું પણ પ્રતીક છે. ઘંટનાદથી બ્રહ્મનાદ સુધી પહોંચી જવાય છે.
આ વાંચ્યા પછી મંદિરનો ઘંટ વગાડવાનું ક્યારેય ભૂલતા નહિ 🔔
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?
– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો
– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન
– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો